ad, ameedarji, PositiveChange, GunvantShah, Happiness, Peace, Positivity, GandhiJayanti, Gandhi, Writer, Honesty, Truth


ગાંધીજી વિષે, ગુજરાતી ભાષા વિષે  કે પછી ગુજરાત ના ગૌરવ - પદ્મશ્રી ડૉ. ગુણવંત શાહ વિષે કઈ પણ લખવાની લાયકાત હજી સુધી મેં કેળવી નથી; છતાં પણ આ બ્લોગ લખવાની હિંમત કરી રહી છું એનું ફક્ત એક જ કારણ છે. અને એ છે પદ્મશ્રી ડૉ. ગુણવંત શાહ ના પ્રવચન માં સાંભળેલા શબ્દો - "તમારાં દિલ માં હોય એ લખો." અને એમના આ જ શબ્દો એ, મને આજે દિલ થી ખુશ કરી દીધી છે. કારણકે મારા દિલમાં હોય એવું ઘણું બધું હું લખીને આ વેબસાઈટ ઉપર પોસ્ટ કરી ચુકી છું.


તારીખ 2 ઓક્ટોબર 2018 ના રોજ, પૂજ્ય ગાંધી બાપુની 150મી જન્મજયંતિ પ્રસંગે તેમને અનોખી રીતે સંસ્મરિત કરવાં માટે અમદાવાદમાં કોચરબ આશ્રમ, પાલડી ખાતે ઇન્ક્રેડિબલ ગાંધી ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેના અતિથિ વિશેષ અને મુખ્ય વક્તા હતા જાણીતા સાહિત્યકાર અને પદ્મશ્રી ડૉ. ગુણવંત શાહ. અને પૂજ્ય ગાંધી બાપુની આ 150મી જન્મજયંતિ મારા માટે કેટલીક 'સુવર્ણ ક્ષણો' લઇ ને આવી હતી.


એ અવસર હતો પદ્મશ્રી ડૉ. ગુણવંત શાહ નું ગાંધીજી વિષેનું પ્રવચન સાંભળવું અને બે ઘડી પદ્મશ્રી ડૉ. ગુણવંત શાહ સાથે વાત કરવી. સફળતા ની ટોચ પર વર્ષો થી રહેનાર એક સેલિબ્રિટી આટલા બધા સહજ અને સરળ છે એના જાતઅનુભવથી  ખુબ આનંદ થયો.  સુવર્ણ ક્ષણો જીવવા મળી એનું એક કારણ એ પણ છે કે - પારિજાત ના પુષ્પ જેવાં નિર્મળ, નિખાલસ અને સદાયને માટે યુવા વિચારધારા ધરાવતાં પદ્મશ્રી ડૉ. ગુણવંત શાહ એટલે કે 'ભાઈ' ની ચરણરજ લેવાનું સૌભાગ્ય મળવું. મારાં શબ્દો વાંચતાં-વાંચતાં તમને જો પારિજાત ના પુષ્પની સુગંધ યાદ આવી ગઈ હોય, તો સમજી જજો કે એ 'ભાઈ' ના ચરણરજ ની કમાલ છે.


પદ્મશ્રી ડૉ. ગુણવંત શાહ એ આપેલાં ગાંધીજી વિષે ના પ્રવચનના કેટલાક તારણો અહીંયા ટાંકી રહી છું. (સાથે મારી વિચારધારા ને જોડવાનું સાહસ પણ કર્યું છે.)

  • "ગાંધીજી એ સત્ય ના કેન્દ્રબિંદુ હતા. અને એટલે જ એ અલગ-અલગ વિચારધારા ધરાવતા અનેક લોકોને સાથે રાખી ને ચાલી શક્યાં." (આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણુ  કેન્દ્રબિંદુ શું છે? ... અને એને શું નામ આપી શકાય? ... કેટલાં લોકો છે એવા કે જે ખરેખર આપણાં કેન્દ્રબિંદુ થી આકર્ષાઈ ને એક યા બીજી રીતે આપણી સાથે ચાલે છે? ... આપણે પોતે આપણાં કેન્દ્રબિંદુ તરફ જઈ રહ્યા છિએ કે એનાથી વિરુદ્દ્ધ દિશા તરફ?...)

  • "ફક્ત ત્રણ-ચાર દિવસો માટે પણ સત્ય બોલવાનું શરુ કરી જુઓ. સત્યનો પ્રભાવ તમારા પર પડતો જરૂર દેખાવા લાગશે કારણકે સત્ય એ એક 'ઊર્જા' છે." ( મારા મતે સત્ય એ એક આકરું સાહસ છે. પણ truth n dare એ આજકાલ ની લોકપ્રિય રમત છે. એવું સમજી લઈએ કે  આ 'ભાઈ' તરફથી આપણને બધાને મળેલી એક dare છે. કદાચ સત્ય ની ઊર્જા આપણને આપણા મુકામ સુધી જલ્દી પોહચાડી દે ... )

  • "અપ્રમાણિકતા રાખીને સંમતિ દર્શાવવી એના કરતાં 'પ્રામાણિકતા' થી અસંમત થવું એ ગાંધીજી ને વધારે ગમશે." (આપણાં મનમાં જે હોય, એ આપણે શું દર વખતે કહી શકીએ  છીએ? ... શું થઇ જશે જો કહી દઈશું તો? ... પણ કદાચ કહેવાંની હિંમત ત્યારે આવશે જયારે સત્ય સાંભળવાની આપણી તૈયારી હશે... )

  • "પૂર્ણ રીતે ગાંધીજી બનવું શક્ય નથી પરંતુ 'માઈક્રો ગાંધી' દરેક વ્યક્તિ બની શકે છે." (મારી સમજણ મુજબ પૂર્ણ રીતે ગાંધીજી તો શું, બીજી કોઈપણ વ્યક્તિ બનવું અશક્ય છે. પૂર્ણ રીતે તો ફક્ત એ જ બની શકાય ને; જે આપણે પોતે છીએ. અને આપણાં બધાની આ ભિન્નતા જ આપણને સુંદર બનાવે છે... પણ પૂર્ણ રીતે પોતાના જેવા બનવાં માટે પણ પહેલાં આપણે આપણી જાતને અનેક રીતે છેતરવાંનું બંધ કરવું પડશે... અને પોતાના જેવા બનવાના આ રસ્તા પર કદાચ આપણે એ બની શકીશું જેને 'ભાઈ' માઈક્રો ગાંધી કહી રહ્યા છે...)


થોડાક વર્ષો પેહલા ગાંધીજી વિષે મેં નીચેની પંક્તિઓ લખી હતી , જે આજે વધારે સાર્થક લાગે છે.

Thank You BAPU for enlightening the ways of:
STRENGTH by Fasting & being Vegetarian,
BLISS from Cleanliness,
FIRMNESS using Pacifism,
LEADERSHIP with Truth,
LIFE of Freedom,
ACHIEVEMENT by applying Discipline,
And LEGENDARY in being Simple… ad



હું સંપૂર્ણ રીતે ગાંધીવાદી નથી અને થવા પણ નથી માંગતી. પણ એમની કેટલીક 'ગાંધીગીરી' માટે મને માન  છે. અને આજના મારા લખાણમાં ગુજરાતી ભાષાની 'ચીકણી-ચીવટ' નો ભાસ થાય તો એને  મારી આજ ની સુવર્ણ ક્ષણો ની સુગંધ સમજી લેજો. પદ્મશ્રી ડૉ. ગુણવંત શાહ ના કહેવા મુજબ દિલમાં હતું એ લખ્યું છે...જો ના ગમ્યું હોય તો પ્રામાણિકતા થી અસંમત થઇ જજો... ad

Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections and be a part of Positive Change. Keep Reading…

Your Friend Always…
Amee Darji

PS for Padma Shree Dr. Gunvant Shah: ખૂબ જ સરળતા અને નિખાલસતાથી મારી સાથે વાત કરવા બદલ તમારો આભાર. તમારા પ્રવચન અને તમારા વિષે લખેલા મારા આ સાવ સામાન્ય શબ્દપ્રયોગને મારા તરફથી અર્પણ કરેલા પારિજાત ના ફૂલ સમજી ને સ્વીકારી લેશો એવી આશા રાખું છું... ad